
ભક્ત ઘાટમ દાસ, જયપુર રિયાસતના એક અનોખા કવિ-સંત, આગળ જઈને “મહાત્મા ઘાટમ દાસ” તરીકે પ્રસિદ્ધ થયા. તેમની અદ્ભુત કથા “ભક્તમાલ” માં વર્ણવેલી છે, જે બતાવે છે કે પાપબોધની ભાવનાએ તેમને કેવી રીતે એક મહાન સંતનું માર્ગદર્શન મેળવવા પ્રેર્યા. લાંબું અંતર ચાલવું મુશ્કેલ હોવાથી, ઘાટમ દાસે એક સાહસિક નિર્ણય લીધો—તેઓએ રાજમહેલના અસ્તબલમાંથી કાળો ઘોડો ચોરી લીધો, માત્ર સંતના દર્શન કરવા માટે.
ચમત્કાર તો ત્યારે થયો જ્યારે તેમને પકડવા દોડેલા રાજાના સૈનિકોની સામે જ ઘોડો કાળા થી સફેદ થઈ ગયો. આ દેવકૃપાની ઘટના જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા અને ઘાટમ દાસને રાજાથી વિશેષ માન મળ્યું. રાજાએ તેમના માટે એક આશ્રમ પણ બાંધી આપ્યો, જેને આજે “ઘાટમ ઘાટ” તરીકે ઓળખવામાં આવે છે. આવો જાણીએ કે કેવી રીતે એક ખાનદાની ચોર, ઠાકુરજી (કૃષ્ણ) ની કૃપાથી મહાન સંત બની ગયો—આ કથા ભક્તિ, પરિવર્તન અને મુક્તિના દિવ્ય સંદેશથી ભરેલી છે.

ઘાટમ દાસજીનું જીવન: ચોરી એક પારિવારિક વ્યવસાય
ઘાટમ દાસજી, મીના જાતિના એક પ્રસિદ્ધ ચોર હતા, જે જયપુરના પાસે સ્થિત ખેરી ગામમાં રહેતા હતા. ચોરી કરવી, લૂંટફાટ કરવી અને ડાકો મારવો તેમનો પારિવારિક વ્યવસાય હતો. પેઢીઓથી તેમના પૂર્વજો આ જ કામ કરતા આવ્યા હતા, અને ઘાટમજી પણ તેમના પૂર્વજોના માર્ગ પર ચાલતાં ચોરી કરતા હતા.
તેમના પિતાએ મૃત્યુ પામતા પહેલા તેમના પુત્રોને બોલાવ્યા અને અંતિમ સલાહ આપી: “બેટા, સાંભળો. મારી એક વાત માની લો અને તેને હંમેશા યાદ રાખજો, જો તમે તેનું પાલન કરશો, તો તમારું જીવન સુખમય રહેશે.”
પુત્રોએ હાથ જોડીને કહ્યું, “પિતાજી, કહો, અમે તમારું અંતિમ કથન જરૂર માનશું.” પિતાએ કહ્યું, “જુઓ, ભૂલથી પણ ક્યારેય કથા ન સાંભળવી. જ્યાં પણ સત્સંગ ચાલી રહ્યો હોય, સાધુ-મહાત્મા કીર્તન કરી રહ્યા હોય, અથવા કથાનું આયોજન થયું હોય, ત્યાં ન જવું.”
પુત્રોએ આશ્ચર્ય સાથે પૂછ્યું, “પિતાજી, કથા સાંભળવાથી શું થશે?” પિતાએ ગંભીરતાથી કહ્યું, “કથા સાંભળશો તો ચોરી નહીં કરી શકો. આપણા પરિવારનો વ્યવસાય ચોરી જ છે, જો તમે કથા સાંભળવા લાગશો, તો ચોરી બંધ થઈ જશે. અને જો તમે ચોરી નહીં કરશો, તો ઘરમાં ખાવાનું કેવી રીતે આવશે? એટલે કથા થી દૂર રહેજો.”
તેમણે પિતાજીને આ પણ પૂછ્યું હતું, “જો ક્યારેય એવી પરિસ્થિતિ આવે કે પોલીસ અમારી પાછળ હોય અને ભાગવાનો કોઈ રસ્તો ન હોય, ત્યારે શું કરવું?” આ પર પિતાએ કહ્યું હતું, “આવા સમયે કાનમાં આંગળી નાખી લેજો, જેથી એક પણ શબ્દ કાનમાં ન પડે.” પિતાની આ શીખ તેમના બાળકોના દિલમાં બેસી ગઈ હતી. તેઓ તેમના પિતાની વાત માનતા હતા અને સત્સંગ કે કથાના આજુબાજુ પણ નહોતા ભટકતા. ઘાટમજી પણ એ જ કરતા હતા.

ચોરીના રસ્તા પર લાગ્યો કાંટો અને સંભળાઈ કથા
સમય વીતતો ગયો, અને ઘાટમ દાસજીએ તેમની ડાકુઓની ટોળકી સાથે ચોરી અને લૂંટ કરવાનું ચાલુ રાખ્યું. એક દિવસ, જ્યારે ઘાટમજી મોટી ચોરી કરીને ભાગી રહ્યા હતા, ત્યારે પોલીસ તેની પાછળ પડી હતી. તેઓ ભાગતા-ભાગતા એક ગામ પાસે પહોંચ્યા, જ્યાં એક વૃક્ષ નીચે સંત વ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા અને સેકડો લોકો ધ્યાનથી કથા સાંભળી રહ્યા હતા.
ઘાટમજીએ વિચાર્યું, “જો હું અહીં રહીશ, તો પોલીસ મને પકડી લેશે, અને ભાગવાનો બીજો કોઈ રસ્તો પણ નથી. ભાગવાનો આ જ એકમાત્ર રસ્તો છે” પણ પછી તેને તેના પિતાના શબ્દો યાદ આવ્યા – “ક્યારેય કથા ન સાંભળવી.”
તેમણે તરત જ પોતાના કાનમાં આંગળી નાખી દીધી અને મનમાં કહ્યું, “કથા નહીં સાંભળું, કથા નહીં સાંભળું।” આમ કહેતા તેઓ ભાગવા લાગ્યા. પણ ભારે ઉતાવળમાં તેમના પગમાં કાંટો વાગી ગયો, અને તેઓ દુખાવાથી બૂમ પાડવા લાગ્યા. કાંટો એટલો ઊંડો લાગ્યો હતો કે વિના કાઢ્યા ચાલવું અશક્ય હતું. મજબૂરીમાં તેમણે પોતાના કાનમાંથી આંગળી કાઢી અને કાંટો કાઢવા લાગ્યા.
આ દરમ્યાન કથાનો એક વાક્ય તેમના કાનમાં પડ્યો. વ્યાસજી તે સમયે કહેતા હતા, “દેવતાઓની છાયા નથી પડતી, અને તેમને પસીનુ પણ નથી આવતું.” ઘાટમજીએ આ સાંભળી લીધું, પરંતુ તેઓ તરત જ ત્યાંથી ભાગી ગયા. ઘેર પહોંચ્યા પછી તેમણે અનુભવ્યું કે તેઓ કથાના કેટલાક શબ્દો સાંભળી ચૂક્યા છે. આ વાતથી તેઓ થોડા ચિંતિત થયા, પરંતુ તેમણે વધારે ધ્યાન ન આપ્યું.

કેવી રીતે એક કથાએ ઘાટમ દાસજીનું બચાવ્યું જીવન
થોડીક વાર પછી, રાજાએ આ ડાકુઓને પકડવા માટે એક યોજના બનાવી. રાજાના મંત્રીએ સલાહ આપી કે, કારણ કે આ ડાકુઓ કાળી માતાના ભક્ત છે, તો એક નકલી કાળીનો રૂપ ધારીને તેમને છેતરવું જોઈએ. યોજનાનુસાર, એક વ્યકિતને કાળીનો રૂપ આપી, તેને જંગલના મંદિરમાં મોકલવામાં આવ્યો, જ્યાં ડાકુઓ વારંવાર પૂજા કરવા આવતા હતા.
જ્યારે ઘાટમજી અને તેમના સાથીઓ ત્યાં પહોંચ્યા, ત્યારે તેઓએ જોયું કે કાળી માતા સાક્ષાત પ્રગટ થઈ છે. બધા ડાકુઓ ખુશીથી તેમની પૂજા કરવા લાગ્યા. પણ ઘાટમજીએ ધ્યાનથી જોયું અને વિચાર્યું, “આ તો તેમની છાયા પડી રહી છે અને તેમને પસીનુ પણ આવી રહ્યો છે. અમે કથામાં સાંભળ્યું હતું કે દેવતાઓની છાયા નથી પડતી અને તેમને પસીનુ પણ નથી આવતો. આ સાચી કાળી માતા નહીં હોઈ શકે.” ઘાટમજીને શંકા થઈ કે આ તો કોઈ ચતુરાઈ છે. તેઓ ચુપચાપ ત્યાંથી નીકળી ગયા.
થોડી વાર પછી, રાજાની સેના એ ડાકુઓ પર હુમલો કર્યો અને તમામ ડાકુઓને પકડી લીધા. તેમને મૃત્યુદંડની સજા થઈ, પણ ઘાટમજી બચી ગયા. ઘેર પરત આવીને ઘાટમજીએ વિચાર્યું, “જો મેં કથાના એ થોડા શબ્દો નહીં સાંભળ્યા હોત, તો આજે હું પણ પકડાઈ ગયો હોત અને મને પણ ફાંસી થઈ હોત. મારા પ્રાણ તો કથાએ બચાવ્યા. હવે મને સમજાયું છે કે પિતાજીની વાત ખોટી હતી. કથા સાંભળવી જીવનનું સૌથી મોટું કલ્યાણ છે.”

ઘાટમજીને સંત પાસેથી મળ્યા ચાર નિયમ
એક દિવસની વાત છે, જ્યારે ઘાટમજી જયપુરથી આમેર તરફ જઈ રહ્યા હતા. આમેર અને જયપુર વચ્ચે આવેલી કનક ઘાટીમાં રાત્રિનો ઘોર અંધકાર છવાયેલો હતો. ઘાટમજી ચોરી કરવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ એ રાત્રે તેમને કોઈ ધનિક વ્યકિત ન મળ્યું. બે દિવસથી કંઈ ચોર્યું પણ નહોતું, એટલે મનમાં બેચેની થઈ રહી હતી.
આ દરમિયાન તેમને એક સંત દેખાયા, જેઓ જટાઓ બાંધેલી, હાથે થેલી લઈને ચાલી રહ્યા હતા. ઘાટમજીએ વિચાર્યું, “સંત છે, આના પાસે શું હશે ચોરવા માટે?” પછી તેમણે વિચાર્યું, “ચોરી તો નહીં કરું, બસ જઈને પ્રણામ કરી લઉં.”
ઘાટમજી સંતના રસ્તામાં આવી ગયા અને અર્ધરાત્રિના સમયે ઘોર અંધકારમાં તેમને પ્રણામ કર્યો. સંત રોકાઈ ગયા અને બોલ્યા, “ખુશ રહો વત્સ. તમારું નામ શું છે?” ઘાટમજીએ સત્ય બોલ્યું, “મારું નામ ઘાટમ છે, અને હું ચોરી કરું છું.” સંત હસીને પૂછે છે, “ચોરી શા માટે કરે છે? આ તો સારો કામ નથી.” ઘાટમજીએ જવાબ આપ્યો, “મહારાજ, મને ખબર છે કે આ સારું કામ નથી, પરંતુ આ મારા પૂર્વજોના વ્યવસાય છે. મારા પરિવારના બધા આ જ કામ કરે છે.”
સંત થોડો સમય વિચાર કરતા રહ્યા અને પછી બોલ્યા, “જુઓ, ચોરી કરવી ખોટું છે, પણ જો તમે ચોરી છોડી શકતા નથી, તો હું તમને ચાર બાબતો શીખવીશ. આનું પાલન કરશો તો તમારું જીવન બદલાઈ જશે.” ઘાટમજી તૈયાર થઈ ગયા.
સંતે કહ્યું, “પ્રથમ વાત, હંમેશા સત્ય બોલવું. બીજી વાત, સંતોનો આદર કરો. ત્રીજી વાત, જે કંઈ લાવો, એ ચોરીથી હોય કે મહેનતથી, પહેલા ઠાકુરજીને અર્પણ કરવું અને પછી ખાવું. ચોથી વાત, જ્યારે પણ કોઈ મંદિર, મઠ અથવા સંત દેખાય, ભલે ને તાત્કાલિક કોઈ કામમાં હોઈ, ત્યાં ઊભા રહીને પ્રણામ કરવું.” ઘાટમજીએ સંતજીને પ્રણામ કર્યો અને જીવનભર આ ચાર વાતોનું પાલન કરવાનું વચન આપ્યું.

એક ચોરનો સંતો પ્રત્યે પ્રેમ અને સમર્પણ
ઘાટમજી ચોરી-લૂંટ કરીને ધન લાવતા, અને સૌથી પહેલા તે ધનનો ઉપયોગ સાધુ-સંતોની સેવા માટે કરતા. જે ધન બચતું, તેનાથી પોતાના પરિવારની દેખભાળ કરતા. થોડા સમય બાદ, ઘાટમજીએ જોયું કે સંતોની એક ટોળી તેમના ગામમાંથી પસાર થઈ રહી છે. તેમણે દોડીને સંતોને પોતાના ઘરે બોલાવ્યા. પરંતુ જ્યારે ઘરે પહોંચ્યા, ત્યારે પત્નીએ કહ્યું, “આપણે તો પોતાનાં માટે પણ ભોજન નથી, તો સંતોને શું ખવડાવશું?” ઘાટમજીએ વિચાર્યું, “ગુરુની આજ્ઞા છે, સંતોની સેવા કરવાની છે.”
ઘાટમજી બજારમાં પહોંચ્યા અને દુકાનદારો પાસે ઉધાર માંગવા લાગ્યા, પણ કોઈએ મદદ ન કરી. ત્યારે તેમની નજર પાસેના ખેતરો પર પડી, જ્યાં ગહૂંની કાપણી થઈ રહી હતી અને ખેડૂત સૂતા હતા. તેમણે તકોનો લાભ લીધો અને મોટી ચાદર લઈને ખેતરથી ગહૂં ભરીને લાવ્યા. સંતોને ભોજનની વ્યવસ્થા કરી દીધી, પરંતુ તેમના ભારે પગલાંઓના કારણે ખેતરમાં પગલાંના નિશાન રહી ગયા.
જ્યારે ઘાટમજી સંતોને ભોજન પીરસી રહ્યા હતા, તેમના મનમાં ચિંતા હતી કે બીજા દિવસે ખેડૂત આ પગલાંના નિશાનોથી ઓળખી લેશે કે ઘઉંકોણે ચોર્યા છે. પરંતુ જેમ જેમ સંત પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા, અચાનક હવામાન બદલાયું. જોરદાર વાવાઝોડું આવ્યું અને વરસાદ શરૂ થયો, જેના કારણે તેમના પગલાંના બધાં નિશાનો મટી ગયા. આ ચમત્કાર જોઈને ઘાટમજીને વિશ્વાસ થઈ ગયો કે ઠાકોરજી તેમની રક્ષા કરી રહ્યા છે.

કાળા ઘોડાની ચોરી: ઘાટમ જીની છેલ્લી ચોરી
સમય વીતતો ગયો. એક વખત ગુરુ પૂર્ણિમાના અવસરે, ઘાટમજીએ વિચાર્યું, “ગુરુની સેવા માટે મને કંઈક મોટું કરવું જોઈએ. એક છેલ્લી વખત મોટી ચોરી કરીને જે ધન મળશે, તે ગુરુ દક્ષિણા તરીકે અર્પણ કરીશ.” તેમણે આમેરના રાજાના ઘોડાની ચોરી કરવાની યોજના બનાવી.
રાજા પાસે એક દુર્લભ કાળો ઘોડો હતો, જેની કિંમત ખૂબ ઊંચી હતી. ઘાટમજી રાજમહેલ પહોંચ્યા. તેમણે સિપાહીનું વેશ ધારણ કર્યું અને રાજાના અસ્તબલમાં ઘુસ્યા, જ્યાં કીમતી ઘોડા બાંધેલા હતા.
રાત્રીના સમયે, પહેરેદારે અવાજ લગાવ્યો, “કોણ છે?” ગુરુની આજ્ઞા અનુસાર સદાય સત્ય બોલવાની વાત યાદ કરતાં ઘાટમજીએ જવાબ આપ્યો, “હું ચોર છું.” પહેરેદારને આ સાંભળી નવાઈ લાગી, કારણ કે તેને લાગ્યું કે કોઈ ચોર પોતાને ચોર કેમ કહેશે? તેને વિચાર આવ્યું કે કદાચ આ રાજાનો કોઈ ખાસ માણસ હશે, જે મજાકમાં એવું કહે છે. એટલે, તેણે તેમને આગળ જવા દીધા, શંકા કર્યા વિના.
ઘાટમજીએ કાળો ઘોડો ચોર્યો અને લઈને નીકળી પડ્યા. તેમના સિપાહી જેવા વેશમાં હોવાના કારણે, બાકીના પહેરેદારોએ પણ તેમને રોક્યા નહીં. ઘાટમજીએ વિચાર્યું કે આ ઘોડો વેચીને ગુરુદેવની સેવા માટે કંઈક ધન એકત્ર કરીશ.

ઠાકુરજીનો ચમત્કારઃ ઘોડાનો રંગ બદલવો
રસ્તામાં સવારનો સમય થયો, અને ઠાકોરજીની મંગળા આરતી ચાલી રહી હતી. તેમને ગુરુદેવની આજ્ઞા યાદ આવી કે જ્યારે પણ કોઈ મઠ, મંદિર અથવા આશ્રમ દેખાય, તો તરત જ રોકાઈને પ્રણામ કરવા. ઘાટમજીએ ઘોડાને રોક્યો, તેને ઝાડ સાથે બાંધી દીધો અને મંદિર જઈને આરતી અને પરિક્રમા કરવા લાગ્યા.
આ દરમિયાન, પહેરેદારોને આ વિચાર આવ્યો કે જો તે વાસ્તવમાં રાજાનો માણસ હોત, તો સૌને તેની જાણકારી હોત. તેમને લાગ્યું કે ઘાટમજી સાચે જ ચોર હતા. રાજાના સિપાઈઓએ તેમનો પીછો કર્યો અને ત્યાં પહોંચ્યા, જ્યાં ઘાટમજીએ ઘોડો બાંધ્યો હતો. પણ જ્યારે સિપાઈઓ ત્યાં પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે ઘોડો ત્યાં જ હતો, પરંતુ તેનો રંગ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો.
એટલામાં જ ઘાટમજી આરતીના દર્શન કરીને બહાર આવ્યા. સિપાઈઓએ તેમની પાસેથી પૂછ્યું, “શું આ એજ ઘોડો છે, જે તમે રાત્રે ચોર્યો હતો?” ગુરુની આજ્ઞા અનુસાર સત્ય બોલતા ઘાટમજીએ કહ્યું, “હા, હું એજ ચોર છું.” સિપાઈઓએ ફરી પૂછ્યું, “પણ ઘોડો તો કાળો હતો, આ સફેદ કેવી રીતે થઈ ગયો?”
ઘાટમજી મલકાતાં બોલ્યા, “મને ખબર નથી. જ્યારે મેં તેને બાંધ્યો, ત્યારે તે કાળો હતો. પણ મને લાગે છે કે મેં તેને ઠાકોરજીને સમર્પિત કર્યો છે, અને કદાચ તેમને કાળો રંગ પસંદ નહોતો, તેથી તેમણે તેને સફેદ કરી દીધો.”

ગુરુ કૃપા: ઘાટમજી કેવી રીતે ચોરમાંથી સાચા ભક્તમાં પરિવર્તિત થયા
આ સાંભળીને સૈનિકો આશ્ચર્યચકિત થઈ ગયા અને ઘાટમજીને ઘોડા સાથે રાજાના દરબારમાં લઈ ગયા. રાજાએ ઘોડાને જોઈને કહ્યું, “આ તો મારો જ ઘોડો છે, પણ તેનો રંગ શ્વેત કેવી રીતે થઈ ગયો?” ઘાટમજીએ પછી આખી સત્ય વાત કહી. રાજાને આ વાત પર વિશ્વાસ ન થયો, પરંતુ જ્યારે તેમણે ઘોડાના ગાલ પાસે પહેલાથી રહેલા મસા પર ધ્યાન આપ્યું, ત્યારે તેઓ આચરજમાં પડી ગયા.
રાજાએ કહ્યું, “તુ ચોર છે, પરંતુ તું સત્ય બોલે છે અને સંતની આજ્ઞાનું પાલન કરે છે, એટલે ઘોડાનો રંગ બદલાઈ ગયો.” રાજાએ આગળ કહ્યું, “જે ભગવાન પોતાના ભક્ત માટે આ બધું કરી શકે છે, તેમની કૃપા આપણે પર પણ જરૂર થશે. તેથી, તારા પર સન્માન કરવું મારું કર્તવ્ય છે.” પછી રાજાએ ઘાટમજીને ઘણું ધન ભેટ આપ્યું.
ઘાટમજી, તે ધન લઈને સીધા પોતાના ગુરુના આશ્રમ પહોંચ્યા. તેના મનમાં આદર વધુ વધ્યો —તેઓ વિચારી રહ્યા હતા કે ચોર હોવા છતાં, જ્યાં તેમને સજા મળવી જોઈએ, ત્યાં તેમને સન્માન અને પ્રતિષ્ઠા મળી. ગુરુના ચરણોમાં પહોંચી, તેમણે બધું અર્પણ કર્યું અને ઉત્સવમાં સામેલ થયા.
ઘાટમજીએ પોતાના ગુરુને કહ્યું, “ગુરુજી, જ્યારે તમે મને પહેલી વખત ચોરી છોડવા કહ્યું હતું, ત્યારે હું સમજી શક્યો નહોતો. પરંતુ આજે હું પ્રતિજ્ઞા કરું છું કે હવે ક્યારેય ચોરી નહીં કરું. તમારી કૃપાથી મને આ જાણ થઈ છે કે હું ખોટા માર્ગ પર હતો.” આ સંકલ્પ સાથે, ઘાટમજીએ ચોરીનો રસ્તો હંમેશા માટે છોડી દીધો.

ઘાટમજીનું ઠાકોરજી સાથેનું સાક્ષાત્કાર
સમય વીતતો ગયો , અને ઘાટમજી હવે સત્સંગ અને સંતોની સેવા માં જ પોતાના દિવસ પસાર કરવા લાગ્યા. પરંતુ તેમના મનમાં એક જિજ્ઞાસા હતી—તેઓ ઠાકોરજીના દર્શન કરવા માંગતા હતા. ઘણા દિવસો સુધી તેમણે ઠાકોરજીના દર્શન ન કર્યા, તો ધીમે-ધીમે તેમના મનમાં નારાજગી થવા લાગી. તેમણે ઠાકોરજીને નારાજ થઈને કહ્યું, “પહેલા હું સ્નાન કર્યા વિના જ જમતો હતો, હવે હું તમારા માટે સ્નાન કર્યા પછી અને તમને અર્પણ કર્યા પછી ખાઉં છું.પહેલાં ક્યારેય કાંઠી માલા કે તિલક ન લાગાવતા, પરંતુ હવે આ બધું પણ તમારા માટે કરું છું. પ્રભુ, હું તમારા માટે એટલું બધું કરું છું, અને તમે મારા માટે શું કરો છો? શું તમે મને દર્શન આપશો?”
આ સાંભળીને ઠાકુરજી તરત જ પ્રગટ થયા. જ્યારે ઘાટમજીએ ઠાકુરજીને જોયા ત્યારે તેમનું મન શાંત થઈ ગયું અને તેમને સમજાયું કે સાચી ભક્તિ અને ગુરુની આજ્ઞાનું પાલન એ સૌથી મોટી સંપત્તિ છે.


